બનાસકાંઠા: વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનો રંગ જામ્યો છે. આમ તો વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનું જંગ બની ગઈ છે. ત્યારે ભાભર ખાતે ભાજપના દ્વારા સ્નેહમિલન સંમેલનમાં ભાજપ સરકારના મંત્રી અને કેબિનેટ હાજરીમાં યોજાયું હતું. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી , શંકર ચૌધરી, ભાનુબેન બાબરીયા, બળવંતસિંહ રાજપુત સહિતના મંત્રીઓ આ સંમેલનમાં હાજર રહ્યા હતા અને સ્વરૂપજી માટે મત માગ્યા હતા.
બીજી તરફ કોંગ્રેસે આજે ભાભર ખાતે શક્તિ પ્રદર્શન કર્યું હતું. જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષના નેતા અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, સાંસદ ગેની બેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર, ચંદનજી ઠાકોર, ભરતજી ઠાકોર,રઘુ દેસાઈ સહિતના કોંગ્રેસ અગ્રણી હાજરીમાં સભા યોજાઈ હતી. દિવાળી બાદ ઠાકોર સમાજના ભાભરમાં સ્નેહ મિલન યોજીને કોંગ્રસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત માટે મત માંગ્યા હતા.
અમિત ચાવડાના આકરા પ્રહાર
સરકાર સામે પ્રહાર કરતા વિપક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું હવે કે, બનાસકાંઠાની જનતાએ નક્કી કરી લીધું છે કે વાવમાં ભાજપના ઉમેદવારે હારવાના છે. ગુજરાત માટે કમ નસીબની બાબતે છે કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજનીતિના મંચ પર બિરાજમાન થાય તો તેમને પોતાના પક્ષ અને બંધનમાંથી મુક્ત થઈ અને પદનું ગ્રહણ કરતા હોય છે, પરંતુ તેમના માટે પક્ષ મોટો નથી લોકશાહી અને વિધાનસભાની પરંપરા મોટી છે પરંતુ કમનસીબી છે કે ભાભરમાં ભાજપના સંમેલનમાં મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપના ઉમેદવારને જીતાડવા રાજકીય સંમેલનમાં વિધાનસભા અધ્યક્ષ હતા.
ગુલાબસિંહને જીતાડવા બ્રહ્મ સમાજ અને ઠાકોર સમાજનું સમર્થન
કોંગ્રેસના નેતા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, ભાભર ખાતે આજે ઠાકોર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહી ભાજપને જવાબ આપ્યો છે. વાવ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા કે મંડપ પણ નાનો પડ્યો હતો. આજે આ સભામાં બ્રહ્મ સમાજ અને ઠાકોર સમાજના લોકોએ ગુલાબસિંહ રાજપૂતને વિજય બનાવવા માટે સમર્થન આપ્યું હતું. આવનારા સમયમાં ચોક્કસથી વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે. આમ કોંગ્રેસના નેતા પણ આક્રમક જોવા મળ્યા હતા. વાવ બેઠક જીતવા ભાજપ કોંગ્રેસ નેતા મેદાને આવ્યા હતા. મોંઘવારી રોજગારી સ્થાનિક પ્રશ્નો સહિતના મુદ્દાઓ સાથે કોંગ્રેસ પણ પ્રહાર કર્યા હતા.