અમદાવાદ: દિવાળીના તહેવાર બાદ કારતક સુદ ચોથથી શરુ થાય છે ઉત્તર ભારતીયોનો તહેવાર. 7મી નવેમ્બર 2024ના રોજ આ વર્ષે છઠ્ઠ પુજા મહાપર્વમાં લાખોની સંખ્યામાં ઉત્તર ભારતીયઓ ઉજવણી કરશે. અમદાવાદમાં રહેતાં ઉત્તર ભારતીયો દ્રારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલાં છઠ્ઠ પુજા ઘાટ સહિત અલગ અલગ જગ્યાએ છઠ્ઠ પૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
2 લાખ લોકો એકસાથે છઠ્ઠપુજા કરશે
અમદાવાદમાં એકસાથે 2 લાખ લોકો છઠ્ઠ પુજા કરશે. અમદાવાદ સિવાય સુરત અને વડોદરામાં વસતા ઉત્તર ભારતીયો છ્ઠ પુજા કરી શકે તે માટે તૈયારીઓ કરવામાં આવી છે. અમદાવાદમાં એક અંદાજ મુજબ 50 હજાર જેટલાં ઉત્તર ભારતીયો છઠ્ઠ પુજા કરશે જેમાં ઇન્દિરા બ્રિજ પાસે સાબરમતી રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલા છઠ્ઠ પૂજા ઘાટ પર 20 હજાર લોકો પુજા કરી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્રારા સાબરમતી નદીમાંથી કચરો દુર કરવામાં આવી રહ્યો છે. નદી પાસે આવેલાં મેદાનમાં સાફ સફાઈ કરવાની શરુઆત કરવામાં આવી છે.
કોણ કોણ હાજર રહેશે ?
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે IAS-IPS અધિકારીઓ સાબરમતી નદી કિનારે આવેલાં છઠ્ઠ પુજા ઘાટ પર જોડાશે. આ અંગે છઠ્ઠ મહાપર્વ સમન્વય ટ્રસ્ટના અધ્યક્ષ ડો. મહાદેવ ઝાએ જણાવ્યું હતું કે છઠ્ઠ પુજા મહાપર્વના અનેરા મહત્વને ધ્યાનમાં રાખતાં આ વર્ષે છઠ્ઠ ઘાટ પર પ્રાથમિક સુવિધાથી લઈને જમવા સુધીની તૈયારીઓ કરવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બનાવેલાં છઠ્ઠ પુજા ઘાટ પર શહેરનાં વિવિધ વિસ્તારમાં રહેતાં પુજા કરવા માટે આવે છે આ વર્ષે અમે રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે શહેર પ્રમુખ, ધારાસભ્યો, મેયર સહિત અમદાવાદ મહાનગર પાલિકાના પદાધિકારીઓ IAS અને IPS અધિકારીઓ પણ આ પુજામાં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું છે.
અલગ અલગ વિસ્તારમાં 20 હજારથી વધુ લોકો પુજા કરશે
7મી નવેમ્બરે સાંજે 4 વાગ્યાથી પુજાની શરુઆત કરવામાં આવી જે બીજા દિવસે વહેલી સવારે 8 વાગ્યા સુધી ચાલવાની છે. અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી 20 હજાર થી વધારે લોકો ઘાટ પર પુજા કરવા આવશે આ વર્ષે છઠ્ઠ મહાપર્વ સમન્વય ટ્રસ્ટ, હિન્દીભાષી મહાસંઘ, મા જાનકી સેવા સમિતી અને છઠ્ઠ મહાપર્વ આયોજન સમિતી આયોજન કરશે. તમામ લોકો માટે જમણવારની વ્યવસ્થા પણ અહીં ઘાટ પર કરવામાં આવી છે.
5 હજારથી વધુ લોકોના જમણવારની વ્યવસ્થા
અમદાવાદના દૂર દૂરથી પુજા કરવા આવનાર લોકો માટે રહેવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જે લોકો સાંજે આવશે તેમને જમણવાર માટે અહીં વ્યવસ્થા કરવામાં આવી છે. 5000 થી વધારે લોકો માટે જમણવાર કરવામાં આવ્યો છે. રાત સુધી પુજા અને ભજન કિર્તન લોકો કરતાં હોય છે જે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ અને પોલીસ વિભાગની ટીમ દ્રારા તમામ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે છઠ્ઠ પૂજા મહાપર્વ માટે આ વર્ષે રામેશ્વર સર્કલથી લઈને ડમરુ સર્કલ સુધી ડેકોરેશન કરવામાં આવ્યું છે તેમજ ભોજપુરી ગાયક કલાકારોને પણ બોલાવવામાં આવ્યા છે. મુંબઈની ગીતા દુબે અને ભોજપુરી સિંગર અમર રઘુવંશી પોતાનું પર્ફોમન્સ આ વર્ષે કરવામાં આવશે. . દર વર્ષે મોટી સંખ્યામાં લોકો બાપુનગર, સૈજપુર, મેઘાણીનગર સહિતના વિવિધ વિસ્તારોમાંથી પૂજા કરવા માટે આવતા હોય છે.
શું છે છઠ્ઠ પુજા ?
ઉત્તર ભારતના પુર્વાંચલ અને બિહારમાં સૌથી મોટા ઉત્સવ તરીકે જો કોઈ તહેવારની ઉજવણી થતી હોય તો તે છે છઠ્ઠ પુજા, આ મહાપર્વ પર ગુજરાતમાં જેમ દિવાળીથી લઈને લાભ પાંચ સુધી તહેવાર ઉજવાય છે તેમ ઉત્તર ભારતમાં ભાઈ બીજથી છઠ્ઠ સુધી આ મહાપર્વ ઉજવાય છે. ડુબતા સુર્ય અને ઉગતા સુર્યની પુજા કરવામાં આવતી હોય છે. મહિલાઓ ત્રણ દિવસ માટે ખાસ ઉપવાસ રાખતી હોય છે અને છેલ્લા દિવસે પાણીમાં ઉભા રહીને ડુબતા સુર્યને અને બીજા દિવસે ઉગતા સર્યુ અર્ધ આપે છે. આ ઉજવણી માટે અમદાવાદ શહેરમાં 10થી વધારે જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે.ઇસનપુર, અમરાઈવાડી, સત્યમનગર, ઇન્દિરા બ્રિજ, સાબરમતી રિવરફ્રન્ટ, મેઘાણીનગર, ડમરુ સર્કલ પાસે અંબિકાનગર અને ચાંદખેડામાં છઠ્ઠ પુજાની ઉજવણી કરવામાં આવશે