ઈસ્લામાબાદ: ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ) પાકિસ્તાનમાં ઘૂસીને ગુપ્ત હત્યાઓ કરી રહી હોવાનો પાકિસ્તાને દાવો કર્યો છે. વોશિંગ્ટન પોસ્ટના એક રિપોર્ટ મુજબ રૉએ પાકિસ્તાનમાં વર્ષ ૨૦૨૧થી અત્યાર સુધીમાં અંદાજે ૧૧ લોકોની હત્યા કરાવી છે, જે દેખીતી રીતે ભારતના દુશ્મનો હતા. રૉના આ અભિયાનનો આશય સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકી જાહેર કરાયેલા સંગઠનો લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહમ્મદના શંકાસ્પદ આતંકીઓને નિશાન બનાવવાનું હતું.
વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ મુજબ રૉએ આ આતંકીઓની હત્યા કરાવવા માટે ભારતીય નાગરિકોનો ઉપયોગ નથી કર્યો, પરંતુ સ્થાનિક ગુનેગારો અને અફઘાની ભાડાના હત્યારાઓને કામે લગાવ્યા હતા. આ ગૂનેગારો અને ભાડાના હત્યારાઓને દુબઈ સ્થિત વેપારીઓ અને હવાલા નેટવર્ક મારફત નાણાં ચૂકવાય છે. અખબારે તેના રિપોર્ટમાં છ લોકોની હત્યાનો ઉલ્લેખ કર્યો છે.
પાકિસ્તાનમાં જે લોકોની હત્યા કરાઈ છે તે મોટાભાગે આતંકી સંગઠનો તોયબા અને જૈશના સભ્યો હતા અને ભારત આ બંને આતંકી સંગઠનને ભારત માટે મોટું જોખમ માને છે. ભારતે તેના ૫૮ દુશ્મનોની યાદી બનાવી છે, જેમાંથી ૧૧ લોકોની છેલ્લા ત્રણ વર્ષમાં હત્યા કરાઈ હોવાનો પાકિસ્તાને દાવો કર્યો છે.
અખબારના રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં એક પછી એક આતંકીઓની હત્યાઓના કારણે તેની જાસૂસી સંસ્થા આઈએસઆઈ પણ રૉના ઘૂંટણીયે પડી ગઈ હતી. આઈએસઆઈના ડિરેક્ટર જનરલ નદીમ અંજુમે વર્ષ ૨૦૨૨માં આ મુદ્દે અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઈએના ડિરેક્ટર વિલિયમ જે. બર્ન્સને ફરિયાદ પણ કરી હતી.
વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે છદ્મ યુદ્ધ ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે તેની રણનીતિને વધુ સંગઠિતરૂપ આપ્યું છે. વધુમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી ભારત વધુ આક્રમક બન્યું છે. પીએમ મોદી પોતાને દેશના વિરોધીઓ પ્રત્યે ભારતની આઝાદી બાદના સૌથી આક્રમક નેતા તરીકે દર્શાવવા માગે છે. અમેરિકન અખબારના આ રિપોર્ટ પર ભારતીય વિદેશ મંત્રાલયે કોઈ પ્રતિક્રિયા આપી નથી.